કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી ઉજવાઈ.

By: nationgujarat
08 Apr, 2025

તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ૧ર કલાકની અંખડ ધૂન કરવામાં આવી હતી.

શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર કથામૃતનું પાન કરાવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણિયામાં ઝુલાવીને ઉત્સવ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું છપૈયા ખાતે ચૈત્ર સુદ નોમ સંવત્ ૧૮૩૭ના રોજ પ્રાગટ્ય થયું હતું.

વિક્રમ સંવત્ ૧૮૫૮ કારતક સુદ એકાદશીના દિવસે પીપલાણામાં તેમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ પાડ્યું હતું.ત્યારબાદ તેઓશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થયા.

શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ જનસમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને અનેકને સદાચારીમય જીવન જીવતા કર્યાં છે. તેમણે અસંખ્ય સંતો અને હરિભક્તો બનાવ્યા. શિક્ષાપત્રી અને વચનામૃત આદિ અનેક ગ્રંથોની રચના કરી.સંસ્કારોનું સદાય પોષણ થતું રહે તે માટે અનેક મંદિરો સ્થાપ્યા છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ – વિદેશમાં અસંખ્ય મંદિરો,સંતો અને સત્સંગીઓ છે.


Related Posts

Load more